4/21/2012

સોનું અને સોની મહાજનોની મહત્તા - KANTI BHATT

સોનું પહેરવાથી લોહીનું પરિભમણ સારું રહે છે, મન વિશાળ થાય છે! સ્પિરીટ ઊંચો કરે છે. ચોકલેટ સાથે સોનાના વરખ ખાનારની બુદ્ધિ સતેજ થાય છે. આજે ઓફશિ્યલી ભારતમાં ૯૦૦૦ ટન સોનું છે. ૧૦ લાખને રોજગારી આપે છે.

ખુદા મહેરબાં તો ગધા પહેલવાન. પત્રકારત્વમાં મારા માટે એક પ્રસંગ ૪૫ વર્ષ પહેલાં બન્યો. હું બીમાર પડ્યો. માધુરીબહેન કોટકે મને મુંબઈમાં તેમના મિત્ર ડૉ. કાન્તિલાલની જૈન હોસ્પિટલમાં એક અલગ રૂમ અપાવી. પછી એક દિવસ ડોક્ટર આવ્યા. થોડા નરમ થઈને કહે ‘એક જણને દાખલ કરવો જ પડશે.’ અને મારી રૂમમાં એ ‘જણ’ આવ્યો તે મુંબઈનો મોટામાં મોટો સોનાનો દાણચોર હતો. જે સોનાનો સ્મગ્લર મારી ખાટ સામે સૂતો હતો તેની ખબર કાઢવા માટે યુસુફ પટેલ, હાજી મફતાન, કરીમલાલા વગેરે તમામ સોનાના દાણચોરો આવતા હતા. 

મારી બીમારી પત્રકારત્વની દ્રષ્ટિએ ફળદાયી થઈ. આ તમામ દાણચોરો અને દમણનાં દાણચોરો સાથે ‘દોસ્તી’ થઈ અને હું સોનાનાં વેપાર અને સોનાની દાણચોરીના લેખનો સ્પેશિયાલિસ્ટ બન્યો. વળી મૂળ હું સૌરાષ્ટ્રનો અને દરેક સૌરાષ્ટ્રનું ગામડું એક એક સોની કુટુંબવાળુ હોયજ અને ગામડામાં સોનીને ભરપૂર માનથી જોવાતા. સોની મહાજન, સોની ભગત, મા- સોનારણ એમ માનથી પતિ-પત્નીને બોલાવાતા.

વળી મને સોનું ક્યાંથી સાંભળ્યું. સોના વિશે હું ચાર પુસ્તકો ભરાય તેટલું લખીને અટકી ગયેલો ત્યાં આજે ‘દિવ્ય ભાસ્કર’માં સમાચાર વાંચ્યા (૧૮-૪-૧૨) કે નરેન્દ્ર મોદી કહે છે કે સોના ઉપર બજેટમાં જે નવો વેરો નાખવાની દરખાસ્ત છે તેનાથી દાણચોરી વધશે. નરેન્દ્ર મોદી રાજકારણમાંથી હટીને સોના અંગે આવો તર્કસંગત અને સાચો અભિપ્રાય આપ્યો તેથી આનંદ થયો.
ખાસ તો કોંગ્રેસને કારણે આઝાદી પછી દેશનો કારોબાર જડ, અભિમાની, તુમાખી અને પોતાનો જ કક્કો સાચો એવા કોંગ્રેસીઓના હાથમાં આવ્યો અને ખાસ તો મોરારજીભાઈની સોના પ્રત્યેની અંગત સુગની બોલબાલા હતી ત્યારે તેણે સોના ઉપર ત્રીજું લોચન ખોલ્યું અને ભારતમાં દાણચોરી, ગુનાખોરી, દાઉદો, કરીમલાલાઓ અને હાજીમસ્તાનો જાગ્યા. પણ સૌથી મોટું નુકસાન કોંગ્રેસ અને મોરારજીએ સોનીઓ જે મહાજન ગણાતા તેને સાવ રાંકથી માંડીને બહારવટિયા, ગુનેગાર અને બે નંબરિયા બનાવી દીધા. દેશના ઘરેઘરની ગૃહિણીને મંગળસૂત્ર કે વીંટી કે બંગડી કે એરિંગથી શણગારી આપતા સોની મહાજનો જેને બાળકી ૧૨ દડાડાની થાય ત્યાં કાન વીંધાવવા ગામડામાં બોલાવીને તે દિવસે લાપશી રંધાતી એ મહાજનોની કોંગ્રેસે પત્તર ખાંડી નાખી.
આજે નરેન્દ્ર મોદીના સોના અંગેના સાચા આર્થિક અભિપ્રાય સાથે એક બીજા સમાચાર પણ છે કે ‘ગુજરાત કોંગ્રેસ નાઉ સિકસ ટુ ટર્ન ન્યૂ લીફ.’ અથૉત્ ગુજરાતની કોંગ્રેસ હવે તેનાં અળવીતરાપણા, ગુમાન અને અભિમાનમાંથી બહાર આવીને તદ્દન નવા વાઘા ધરવા માગે છે. અરે સાહેબ! નરેન્દ્ર મોદીને ગુજરાતમાં શું કામ મજા છે? કોંગ્રેસ એટલી મૃત:પ્રાય થઈ છે કે એવું લાગે છે કે મોદીને ગુજરાતમાં રહેવા દે તો તેને પખીયાં આવે ત્યાં સુધી રાજ કરે. ‘ગુજરાત કોંગ્રેસ વિલ ટર્ન ન્યૂ લીફ!!!’ અરે કોંગ્રેસના ભૂતકાળનાં સત્તાના-સાલિયાણાખોરોએ કોંગ્રેસને એટલી ભ્રષ્ટ, બદનામ અને જાહલ કરી નાખી છે કે કોંગ્રેસને મૂળિયા સોતી તેના ઝાડને ઉખેડી નાખી છે. અમરસિંહ ચૌધરીથી માંડીને અને તે પહેલાંના કોંગ્રેસીઓ સત્તાના મૂળ પણ ઉખેડી ઉખેડીને ઝાપટી ગયા છે!

૧૯૫૨માં હું બીકોમ થયો ત્યારે મને કોઈએ ત્યારે ભાવનગરના કોંગ્રેસી જગુભાઈ જે ટીબીના ખાટલે બેઠા રાજ કરતા હતા તે તમામ કોંગ્રેસી દેવેન્દ્ર દેસાઈ, જાદવજી મોદી વગેરે મંડળી એટલા બધા મગરૂર થઈ ગયા કે સૌરાષ્ટ્ર સરકાર અને સૌરાષ્ટ્ર તેમના ‘બાપ’ની જાગીર છે. એવો તોર હતો અને દોર દમામ છેક મોરારજી સુધી હતો અને તેથી જ કોંગ્રેસે એવાં કરતૂતો કર્યા છે કે મોદીને મજા થઈ ગઈ છે. પણ આપણી વાત સોના અને સોનીઓની હતી. સોનીને બે નંબરિયા બનાવીને આ મહાજનોને લઘુજન બનાવનારી કોંગ્રેસને મોટામાં મોટંુ પાપ લાગ્યું છે.


બ્રિટિશ શાસનમાં અને તે પહેલાં ૮૦૦ વર્ષ સુધી સોનું પાટે બેઠેલું. મુકત આયાત નિકાસ હતી. ‘ધ પાવર ઓફ ગોલ્ડ’ નામના પુસ્તકમાં ઈકોનોમિકસ ઓફ ગોલ્ડ ઈન ઈન્ડિયાના પ્રકરણમાં અર્થશાસ્ત્રી રોબર્ટ પ્રિંગલ કહે છે કે ૨૦૦૦ સુધી જગતમાં ઈન્ડિયા સોનાનું સૌથી મોટું આયાતકાર હતું. ભારત વર્ષે ૮૫૫.૨ ટન, અમેરિકા ૩૮૭.૪ ટન, સાઉદી ૨૨૧ ટન, ચીન ૨૦૭ ટન અને તુર્કી ૧૫૭ ટન સોનું આયાત કરતું હતું. કહે છે. સોનું પહેરવાથી લોહીનું પરિભમણ સારું રહે છે, મન વિશાળ થાય છે! સ્પિરીટ ઊંચો કરે છે. સોનાનો પાઉડર ઈજપિ્તની સુંદરી શરીરે લગાવતી. ચોકલેટ સાથે સોનાના વરખ ખાનારની બુિદ્ધ સતેજ થાય છે તેવું મનાતું. ઈન્ટરનેશનલ બેન્ક ઓફ સેટલમેન્ટ કહે છે કે ૧૪૯૩થી ૧૯૩૦ વચ્ચે જગતનું ૧૪ ટકા સોનું ઈન્ડિયામાં હતું.

આજે ઓફિશયલી ભારતમાં ૯૦૦૦ ટન સોનું છે. ૧૦ લાખને રોજગારી આપે છે. ૧ લાખ ગોલ્ડ જવેલરી યુનિટ છે. પણ આજ દિવસ સુધી (ધિક્કાર છે સરકારને! ધિક્કાર છે) કે કદી કોઈ સોની મહાજનને ભારતની ગોલ્ડ પોલિસી વખતે કન્સલ્ટ કર્યો નથી. જગતમાં ૧૪૫૦૦૦ ટન સોનુ છે. તેમાંથી ભારત પાસે ૧૫૦૦૦ ટન છે તેવા આંકડા છે. પણ આંકડા નક્કામા છે એકેએક ગરીબથી માંડીને ટીવીના સ્ટારો કે ધનપતિઓના બૈરાના ગળામાં સોનુ હોય છે. .


સુવર્ણ, સ્વર્ણ, હિરણ્ય, કનક, કંચન, હેમ અને અષ્ટપદા તરીકે ઓળખાતું સોનું ભારતમાં વર્ષે ૮૦ લાખ લગ્નો થાય ત્યારે પ્રથમ યાદ કરાય છે. તુર્કીની સરકારને ધન્યવાદ છે કે તેણે સોનાની આયાત-નિકાસને મુકત રાખી છે કોઈ ડ્યૂટી રાખી નથી. તમામ મુસ્લિમો દેશો આર્થિક સંકટમાં આવ્યા હતા, પણ સોનાને પૂજનારું તુર્કી અને સાઉદી ટેન્શન ફ્રી હતા. સરકારને ડહાપણ આવે અને મોદીની સલાહ માની તેના પર કોઈ વેરો ન નાખે અને તુર્કી જેવું ભારત ઉદાર થાય. આ દેશના સોનીઓએ હડતાળ પાડવી પડે તે કોંગ્રેસ સરકારની શરમ છે. શરમ છે. શરમ છે.
Source: Aas Pass, Kanti Bhatt   |   Last Updated 12:01 AM [IST](19/04/2012)

SOURCE: http://www.divyabhaskar.co.in/article/ABH-aas-pass-kanti-bhatt-gold-and-jeweller-3133116.html


 

No comments: